વર્તમાન ક્ષણે પોતાનાં દોષોનું નિરીક્ષણ કરવું તે અવલોકન છે. તેના બે ભાગ (પ્રકારો) છે. ત્રુટક અવલોકન અને ધારાવાહી અવલોકન. ૧) ત્રુટકઅવલોકન: આને પ્રારંભિક અવલોકન પણ કહી શકાય. વર્તમાનમાં દોષોને જોવા જતાં જીવ વારે ઘડીયે વિચારમાં ચડી જાય અને અવલોકન તૂટે. ફરી પાછો જાગ્રત થઇ અવલોકન કરે અને પાછો વિચારે ચડતાં અવલોકન તૂટે. આમ જીવ વારંવાર જાગ્રત થવાનો પ્રયત્ન કરે પણ નિરંતર જાગ્રત રહી શક્તો નથી. ઘણી મૂંઝવણ - ઘભરાટ - ભવભ્રમણનો ભય - ચિંતા - વેદના ઉપજે. મુમુક્ષુદશામાં પ્રવેશ આવા અવલોકનથી થાય કેમ કે આ અવલોકનથી જીવ સહજમાં ભવભ્રમણની ચિંતના - વેદનામાં આવી આગળ ઉપર ઝૂરણાંમાં આવે. શુધ્ધ અંત: કરણવાળો જીવ ખુબ પરિશ્રમ કરી વારંવાર જાગૄતિમાં આવી આ અવલોકન દ્વારા મુમુક્ષુદશામાં પ્રવેશ કરી શકે. શુધ્ધ અંત: કરણ વિના જીવ આ અવલોકન સફળતાથી કરી શકતો નથી કારણ કે સંયોગોની અનુકૂળતા અને મોહ વડે તે જાગૄતિ વધારી શકતો નથી.
૨) ધરાવાહી અવલોકન: ત્રુટક અવલોકન સફળ થઇ ભવભ્રમણની ચિંતના - વેદના - ઝૂરણાંમાં આવી જીવ માર્ગપ્રકાશક શ્રીગુરૂ કે સત્સંગ મળે અથવા ન મળે તોય કોઈપણ ભોગે સંસારથી છૂટી જવાનું અને પરીપૂર્ણ આત્મશાંતિનું ધ્યેય (પૂર્ણતાનું લક્ષ) બાંધે ત્યારબાદની જાગૄતિને ધારાવાહી અવલોકન કહેવામાં આવે છે. આ અવલોકનમાં ત્રુટક અવલોકનની જેમ દોષો ગોતવા મહેનત પડતી નથી કારણ કે દોષો આપો આપ જણાય છે. અવલોકન ધારાવાહી ચાલે છે તેમ જ્ઞાન પણ ધીરે ધીરે સ્થુળતામાંથી સૂક્ષ્મતા ધારણ કરે છે. આવા તબક્કે જીવનું ઉપાદાન જાગૃત હોવાથી કુદરત એને શ્રીગુરૂ સાથેનો સંપર્કં કરાવી દે છે. ત્યારે શ્રીગુરૂનાં વચનનો આશય ગ્રહણ કરીને તેમજ શ્રીગુરૂની અંતરપરિણતિની ઓળખાણ કરીને જીવ ભક્તિ-પરમેશ્વર બુધ્ધિ પૂર્વક પરાભક્તિમાં પ્રવેશી ભેદજ્ઞાનની શુભ શુરૂઆત કરી શકે છે. ધારાવાહી અવલોકન ભેદજ્ઞાન પૂર્વેનો તબક્કો છે. ત્રુટક અવલોકનથી જે ચીંતના - વેદના - ઝુરણાનો અનુભવ થયેલો તે (ધારાવાહી અવલોકન વડે ભેદજ્ઞાનનો તબક્કો શરૂ થતાંજ) ચિંતનાનો અભાવ થઇ મોક્ષનાં ભણકારા વાગે છે. ધારાવાહી અવલોકનનાં અંતે હવે જીવને મોક્ષની પણ ચિંતા નથી. તેથી જ તો ભેદજ્ઞાનની વીધિમાં પ્રવેશી શકે છે. આ અવલોકનમાં વિકલ્પમાત્રમાં અંતરથી થાક લાગે છે તેથી જીવ અંતરના પ્રયોગે/સ્વરૂપની શોધનાં પ્રયોગે ચડે છે.
આમ ત્રુટક અવલોકન વિના જીવ મુમુક્ષુ બની શકતો નથી તેમ ધારાવાહી અવલોકન વિના જીવ ભેદજ્ઞાનનાં અભાવે જ્ઞાની બની શકતો નથી.
No English rendering yet.