‘શ્રી સમયસાર નાટક’ ગ્રંથમાં સમ્યગ્દર્શનનાં અપરનામોમાં એક નામ અવલોકન છે. પંડિત બનારસીદાસજી અવલોકનને જ્ઞાનની પર્યાય ગણવાને બદલે દર્શન (શ્રધ્ધા)ની પર્યાય માને છે એવું વાંચીને સુખદ આશ્ચર્ય થયું.
શ્રી સમયસારની આત્મખ્યાતિ ટીકા શ્લોક ૧૯નાં ભાવાર્થમાં પણ દર્શનનો અર્થ શુધ્ધ સ્વભાવનું અવલોકન જણાવેલ છે. સ્વાનુભવથી પણ આ વાત પ્રમાણિત છે. સમકિત થયાં પછી નિદ્રામાં પણ અવલોકન (જાગૃતિ) ટકે છે; જયારે જ્ઞાન અર્થાત શુધ્ધ સ્વભાવપણું તો અંતર્મુખ નિર્વિકલ્પ ઉપયોગ વખતે જ થાય છે. અર્થાત સમકિત થતાં શ્રધ્ધાગુણ ૧૦૦ ટકા શુધ્ધ પરિણમે છે જયારે જ્ઞાન અને ચારિત્રમાં સંપૂર્ણ શુધ્ધતા નથી.
અવલોકન - સ્વરૂપનાં દર્શનની ઝંખનામાંથી ઉત્પન્ન થનારાં પરિણામ છે. દેખતાં દેખતાં (શોધતાં શોધતાં) જયારે આત્મવસ્તુ પ્રત્યક્ષ અંશથી દેખાય ત્યારે પ્રથમ ભાવભાસન અર્થાત સ્વરૂપનિશ્ચય થાય છે. અને એમાં જ સ્થિરતા થાય ત્યારે સ્વરૂપાચરણ ચારિત્ર પૂર્વક અતિન્દ્રિય આનંદરસ અનુભવાય છે.
આમ અવલોકન શ્રધ્ધાની પર્યાય છે જે સમક્તિ થયાં પછી પણ જીવની દરેક ભાવિ પર્યાયોમાં હાજર જ રહે છે. જેને લીધે સાધકદશામાં જીવ દરેક ક્ષણે સહજ પણે ચેતતો રહે છે અને શુધ્ધીમાં વૃધ્ધિ થાતી જ રહે છે. અવલોકન વિના ભવભ્રમણથી છૂટવાનો અન્ય કોઈ ઉપાય નથી.
No English rendering yet.