શાંતિની ઈચ્છા સાથે દુઃખી જીવ જયારે મંદિરમાં પ્રભુની પ્રતિમા પાસે શાંતિની યાચના કરે છે, પ્રભુને યાદ કરે છે, જુએ છે, પૂજા ભક્તિ કરે છે ત્યારે પ્રતિમા મૂકપણે એમ જણાવે છે કે તને શાંતિની જરૂરત હોય તો તેને માટે તારે પૂજા - ભક્તિ - ધન સમર્પણ, મંત્રજાપ આદિ કાંઈ કરવાની જરૂર નથી. અમને તારી પાસેથી કશું જોઈતું નથી. દુઃખી શું આપે? અને સુખી દુઃખી જીવ પાસે શું માંગે? છતાં તું શાંતિની ઝંખનામાં આવ્યો છે તો અમારી વીતરાગ દશાને નિહાળી તું પણ નિર્ધાર કર કે આજ થી મારે ક્યાંય રાગ અથવા દ્વેષ કરવા નથી. સંપૂર્ણ નિર્દોષ જ થાવું છે. અનુકૂળતામાં રાગ નહિ કરું કે પ્રતિકૂળતામાં દ્વેષ નહીં કરું. સર્વસ્થિતિમાં વીતરાગ ભાવે જ રહીશ. છતાં રાગ કરવો હશે તો મારા આત્મા પ્રત્યે જ કરીશ અને દ્વેષ કરવો હશે તો મારા દોષો (રાગ દ્વેષ મોહનાં ભાવો) પ્રત્યે જ કરીશ. પરંતુ મારા આત્માથી અન્ય શુધ્ધ નિર્મળપર્યાય હો કે ઊંચામાં ઊંચા શુભભાવ હોય, ઈજ્જત, આબરૂ, સગાસંબંધી હો કે આવ્યું પર્યંત સાથે રહેનાર દેહ હોય, હું ક્યાંય ઈષટપણું માનીશ નહિ. તેમજ ગમે તેવી પ્રતિકૂળતા કે દુશ્મન પ્રત્યે પણ દ્વેષ નહીં કરૂં.
હે જીવ! શાંતિની પ્રાપ્તિ માટે તું આ પ્રમાણે સંપૂર્ણ નિર્દોષતાનું લક્ષ/ધ્યેય બાંધ.
કારણ કે વર્તમાન અશાંતિ - આકૂળતા - દુઃખનું કારણ પૂર્વે દોષ કરીને બાંધેલા કર્મોના ઉદયમાં એકત્વભાવ છે - પદાર્થ કે અન્ય જીવ નહીં. માટે હવે તું નિર્ધોષતાનું ધ્યેય બાંધ અને પરિણામને પક્ષપાત વગર તપાસ કે તું ધ્યેય પ્રમાણે વર્તે છે કે નહિ? તારા ધ્યેયથી વિપરીત રાગ, દ્વેષ, હર્ષ, શોકનાં પરિણામ થતાં દેખાય તો તને તારા આત્મા ઉપર ધિક્કાર આવે છે? તો તું વીતરાગી શાંતિને પ્રાપ્ત કરવા યોગ્ય પાત્રતાવાળો છે. જો તને દોષનો નિષેધ ન આવે, દોષો સંતાડવાનું ગમે, દોષોનો બચાવ કરવો ગમે તો તું શાંતિને પ્રાપ્ત નહીં કરી શકે. અશાંતિ મટાવી શાંતિ પ્રાપ્ત કરવાની ક્ષમતા જીવમાં પોતામાં સ્વતંત્રપણે છે. જો દેવ-ગુરૂ-શાસ્ત્રનાં ચિંધ્યા માર્ગે ચાલે તો જરૂર શાંતિ પ્રાપ્ત થાય જ. દેવ - ગુરૂ માર્ગ બતાડે પણ શાંતિ કોઈ આપી ન શકે. પોતે જ સ્વયં માર્ગે ચાલીને શાંતિને અનુભવી શકે છે માટે બઘું પોતાના પુરૂષાર્થને આધીન છે. અન્ય જીવ ન શાંતિ આપી શકે ન અશાંતિ ઉત્પન્ન કરાવી શકે. પોતે જાગૃતિમાં આવી રાગદ્વેષથી રહિત થવાનો ભગીરથ પુરૂષાર્થ કરે તો પોતે જરૂર શાંતિને અનુભવી શકે.
No English rendering yet.