Avlokan Discourses of Shri Devchand bhai Shah The book Search Photographs About
Aphorism 153

દોષોનાં અવલોકનથી - પરિણામ પ્રત્યેની જાગૃતિથી-કાષાયરસ મંદ થાય, પરરૂચિ છૂટતી જાય, આત્મભાવનામાં વૃદ્ધિ થાય, મોહ મંદ પડે, કષાયોમાં મંદતા આવે, વૈરાગ્ય અને ઉપશમનાં પરિણામો ઉદભવે, વિભાવભાવોથી દુઃખ થાય - પશ્ચાતાપ સહજ થાય, રાગનો નિષેધ થાય, સંસારનાં પ્રસંગોમાં ક્યાંય રુચે નહિ છતાં તેથી રાગદ્વેષથી સંપૂર્ણ મુક્તિ ન જ મળે.

દોષોનાં અવલોકનથી ઉત્કૃષ્ટ યોગ્યતા ઉત્પન્ન થઇ, તમામ વિભાવભાવોથી અરૂચિ જન્મે છતાં વિભાભાવોનો રાગ-દ્વેષનો અભાવ ન જ થાય કારણ કે પરિણામમાં રાગ થાય છે તેને જીવ માત્ર જાણી શકે, પરંતુ હટાવી ન શકે. એક પણ પર્યાયને આઘીપાછી કરી શકાતી નથી પછી ભલે તે પર્યાય પોતાની જ કેમ ન હોય. રાગ દ્વેષને હટાવવા એ પણ એક પ્રકારનો રાગ છે. જો કે દોષોનાં અવલોકનમાં જોવાની જ વાત છે, હટાવવાની નહીં. છતાં, પરિપૂર્ણ શાંતિ/નિર્દોષતાની ભાવનાવાળા મુમુક્ષુને જયાં સુધી રાગદ્વેષનો અભાવ ન થાય ત્યાં સુધી જંપ વળતો નથી.

વિભાવોને માત્ર જોતાં રહીએ છતાં તેથી અભાવ તો થતો નથી અને કર્મબંધ તો થયા જ કરે છે. તે જોઈને મુમુક્ષુ ચુપ કેમ બેસી શકે? અનંત ભવભ્રમણનાં કારણરૂપ વિભાવભાવોની હારમાળા પોતાનાં ચાલતાં પરિણામમાં નીરખી સાચા મુમુક્ષુનો આત્મા અંતરથી કકળી ઉઠે છે અને વિભાવોથી મુક્ત થવાની તીવ્ર અભિલાષા - દૃઢ મોક્ષેચ્છાનાં પરિણામો સહજ ઉત્પન્ન થાય છે. હવે એને વિભાવોના નાશ માટેનો રામબાણ ઈલાજ જોઈએ છે. પોતે જાણતો નથી તેથી સત્સંગના માધ્યમથી જ્ઞાનીને ખોજે છે. પરિચયથી એ જ્ઞાનીને ઓળખે છે ત્યારે જ્ઞાની પણ એની પાત્રતાને ઓળખે છે અને રાગાદિ વિભાવોનાં નાશનો અમોધ રામબાણ ઈલાજ-ભેદજ્ઞાનનો મંત્ર આવે છે. ભેદજ્ઞાન મંત્રને સાધી મુમુક્ષુએ નિજ પરમાત્માનાં દર્શન માટે દ્રવ્યદૃષ્ટિ કરવાની છે જેથી ભવભ્રમણરૂપી બીજનાં નાશરૂપ સ્વાનુભૂતિ (સમ્યગ્દર્શન)ની પ્રાપ્તિ થાય. અવલોકનથી દર્શનમોહ મંદ થાય છે જયારે ભેદજ્ઞાનથી દર્શન મોહનો અભાવ થાય છે. પરંતુ યથાર્થ અવલોકન થાય તેને જ ભેદજ્ઞાન થાય.

No English rendering yet.