જ્ઞાનીપુરૂષોના અનુભવપૂર્ણ વચનો - બુધ્ધિગમ્ય થઇ રૂચે છતાં અવલોકનનાં અભ્યાસ વિના અનુભવગમ્ય થાતાં નથી. જ્યાં સુધી જ્ઞાનીપુરૂષોનાં વચનો અનુભવગમ્ય ન થાય ત્યાં સુધી જીવ ઓઘસંજ્ઞાનમાં જ રહે છે અને કાળ વૃથા ગુમાવે છે.
ક્રોધ - માન - માયા - લોભાદિ કાષાયભાવોને અટકાવવાનો પ્રયાસ ગમે તેટલો કરે અથવા એવી જ ચાહના રાખે પણ તેથી કષાયો નિર્મૂળ થાતાં નથી (ભલે મંદ થતાં હોય).
કષાયો ન જ થાય એવો આગ્રહ રાખવા કરતાં એમનું અવલોકન થઇ દુઃખ લાગે; પોતે જ મોહવશ કષાયો કરે છે એવું સમજાય તો સહજ પણે મોહ મંદ/અભાવ થઇ કષાયો યથાર્થપણે નિર્મૂળ થવાની શરૂઆત થાય.
જેમ જેમ અવલોકન વધશે તેમ તેમ સ્વયં જન્મમરણની ચિંતના - વેદના - ઝૂરણાંપૂર્વક જગત પ્રત્યે ઉદાસીનતા - વિરક્તિ વધતી જાશે. એમ ન માનવું કે દુઃખી તો છીએ જ એમાં ઉપરથી અવલોકન કરવાથી નવી વેદના જન્મશે તો તકલીફ થઇ જાશે. એવું માનશો તો અવલોકન નહીં થાય. અવલોકન ચાલુ રાખવાથી વેદના જરૂર થાશે પરંતુ સંયોગોની પ્રતિકૂળતા સંબંધી કે કર્મજનિત અશાતાનાં ઉદય સંબંધી નહીં હોય અવલોકન દ્વારા જે રીતે મોહમંદ થઇ કષાયરસ ઘટી ને શાંતિ ભાસે તે વારંવાર છૂટી જતાં અને અવલોકન ધારાવાહી ન ચાલતાં તકલીફ થઇ વેદના આવે છે. આવી વેદના દર્શનમોહને ગાળનારી અને જ્ઞાનને નિર્મળ કરનારી છે તેથી ગમે તેમ કરીને અવલોકન અધ્ધતિનો પુરૂષાર્થ કરવો.
No English rendering yet.