ભેદજ્ઞાન-એ આત્મદર્શન કરવાની અણમોલી વીધિ છે તેમાં વર્તમાન પરિણમનમાં રાગાદિ હોવા છતાં એને ગૌણ કરી માત્ર જ્ઞાનની હૈયાતિને જ જોવાનું કરાય છે જેથી પ્રગટ જ્ઞાન પરિણમન પરથી જ્ઞાન જ્યાંથી ઉદ્ ભવી રહયું છે અર્થાત્ જ્ઞાનપ્રવાહનો જે મૂળ આધાર છે- ત્ત્રિકાળી સત્ - તેનું અવલંબન લઇ શકાય અને તેમાં એકત્વભાવે અહમપણું કરી આત્મ સાક્ષાત્કાર થઇ શકે. આવી ભેદજ્ઞાનની કળા સર્વે અનુભવી જ્ઞાની ધર્માત્માઓએ વત્તે ઓછે અંશે પોતપોતાની વિશિષ્ટ શૈલીથી પ્રકાશી છે તેમજ ‘સામયસાર’ જેવા મહાન પારમાગમોમાં અત્યંત સ્પષ્ટતાથી ભેદજ્ઞાનની કળા દર્શાવેલ છે.
આમ છતાં જે જીવ સ્વદોષ અવલોકનનાં પ્રયોગ દ્વારા યોગ્ય પ્રકારની યથાર્થ પાત્રતામાં આવેલ નથી તે જીવ ને ભેદજ્ઞાનની વાર્તા બુધ્ધિગોચર કદાચ થઇ શકે પરંતુ અનુભવગોચર થઇ જ ન શકે. ભેદજ્ઞાનની કળા વડે અંતર્મુખ અભ્યાસ - ધ્યાનાભ્યાસ - તો જ થાય જો જીવ ‘અવલોકન’ની સાધના દ્વારા યોગ્ય પાત્રતામાં આવે.
આનું ઉત્તમ ઉદાહરણ પરમ કૃપાળુ દેવનું જીવન છે. એમને માત્ર સાતવર્ષની વયે જાતિસ્મરણ જ્ઞાન દ્વારા પૂર્વે મળેલાં સદગુરૂદેવ અને તેમની અપાર કૃપા વડે પ્રાપ્ત ભેદજ્ઞાનનો બોધ સાંભર્યો પરંતુ ત્યારબાદ છેક સોળ વર્ષ વીત્યા બાદ ત્રેવીસમા વર્ષે પાત્રાંક ૧૦૮માં વ્યક્ત નિજદોષ અવલોકનનો પુરૂષાર્થ આદરતાં પાત્રાંક ૧૨૮માં વ્યક્ત ભાવના મુજબ ‘પૂર્ણતાનું લક્ષ’ બંધાયું અને પાત્રાંક ૧૩૩માં વ્યક્ત પરિણામો મુજબ ભાવભાસનની સ્થિતિમાં આવ્યાં. ત્યારબાદ જ ચોવીસમા વર્ષે પાત્રાંક ૧૬૫માં વ્યક્ત દશા (પાત્રાંક ૧૨૮ માં ‘પૂર્ણતાનું લક્ષ’ બંધાયું ત્યારથી ગણતાં માત્ર ત્રણ મહિનામાં) ઉપરથી જ્ઞાનદશામાં આવ્યાં તેવું સ્પષ્ટ સમજાય છે.
ખાસ નોંધનીય બાબત એ છે કે જાતિસ્મરણજ્ઞાનમાં સાંભરેલો બોધ જ્યાંસુધી અવલોકનનો પુરૂષાર્થ ન કર્યો ત્યાં સુધી કાર્યગત ન નીવડ્યો.
આવું જ બીજું ઉત્તમ ઉદાહરણ છે પૂજ્ય નિહાલચંદ્ર સોગણીજીની જીવનગાથાનું. તેઓ શાંતિ માટે તાડપતાં હતાં. બધીજ ક્રિયાઓ કરી ચૂકેલા. વિકલ્પોનું ભયંકર દુઃખ અનુભવતાં હતાં અર્થાંત્ અવલોકનનાં પુરૂષાર્થમાં આવી ગયાં હતાં ત્યારે જ એમને હિંદી આત્મધર્મની પ્રતિલિપિમાં પ્રત્યેક પાને છપાયેલ ‘ષટ્ આવશ્યક નહિ, એક જ આવશ્યક છે’. એવા મંત્રનું આકર્ષણ થયું. ત્યારબાદ ‘જ્ઞાન જુદા અને રાગ જુદા છે’ એવો ભેદજ્ઞાનનો મંત્ર પૂજ્ય ગુરૂદેવશ્રીનાં સાક્ષાત્ શ્રીમુખે પ્રત્યક્ષ સંભળાતાં જ માત્ર ૧૪ કલાકમાં સતત અંતર્મુખતાના અનંત પુરૂષાર્થ દ્વારા સમ્યગ્દર્શનને પામ્યાં.
‘જ્ઞાન અને રાગ જૂદાં છે’ એવો મંત્ર પરમકૃપાળુ પૂજ્ય ગુરૂદેવશ્રીએ ૪૫-૪૫ વર્ષો સુધી નિરંતર સંભળાવેલ છે છતાં આજે પણ ઘણાં જીવો સમ્યગ્દર્શન વિના ભટકે છે તેનું કારણ અવલોકન દ્વારા ઉત્પન્ન પાત્રતાની ખામી જ છે.
આથી સિધ્ધ થાય છે કે ‘યોગ્યતા માર્ગપ્રાપ્તિનું બળવાન કારણ છે’. ભાવિ તીર્થંકર કહાન ગુરૂની વાણી સાક્ષાત્ સાંભળવા છતાં કાર્યસિધ્ધિનો બધો આધાર ઉપાદાનની જાગૃતિ ઉપર છે જે ‘અવલોકન’નાં પુરૂષાર્થથી સહજ સાધ્ય છે.
આથી આત્મદર્શન વડે મોક્ષમાર્ગમાં પ્રવેશ અર્થે જીવે ‘ભેદજ્ઞાન’ ઉપાસવા પૂર્વે ‘અવલોકન’ નાં પુરૂષાર્થથી પાત્રતા ઉત્પન્ન કરવી ફરજિયાત છે.
જયાં સુધી અંશમાત્ર પણ સંસાર વહાલો લાગતો હશે અને જગતમાં ક્યાંય પણ રૂચે ત્યાં સુધી જીવ ‘ભેદજ્ઞાન’ ની સાધના કરી જ નહી શકે.
ભેદજ્ઞાનથી સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવું અત્યંત સરળ, સુગમ અને સહજ છે. રમતવાત છે. પરંતુ નિજદોષ અવલોકનનો પુરૂષાર્થ કરી આત્મલગની - આત્મધૂન - તાલાવેલી - તીખી તમન્ના - પરાભક્તિ - માર્ગભક્તિ - સ્વચ્છંદત્યાગ - વીતરાગી ગુરૂ પ્રત્યે શરણભાવ - વીતરાગી જિનવાણી પ્રત્યે ભક્તિભાવ - પાત્રતા - યથાર્થ ઉદાસીનતા - ચૈતન્યની શુધ્ધ ભાવના ઇત્યાદિ સદગુણો ઉત્પન્ન થવા એટલા સરળ અને સુગમ નથી. તેથી જ કોઈ વિરલા જ સમક્તિ પામે છે.
રૂચિ પલટાયા વિના ઉપયોગ અંતર્મુખ થાય જ ક્યાંથી? (જુઓ બેનશ્રીનાં વચનામૃત નંબર ૩૬).
બહારમાં રસ હોય છતાં ભેદજ્ઞાનની સાધના થાય એવું ક્યારેય બનતું નથી. (જુઓ બેનશ્રીનાં વચનામૃત નંબર ૧૯૭).
No English rendering yet.