Avlokan Discourses of Shri Devchand bhai Shah The book Search Photographs About
Aphorism 151

દોષોનું અવલોકન કરવાથી પર્યાય બુદ્ધિ દૃઢ થઇ જશે એવો ભય રાખવા યોગ્ય નથી, કારણ કે મોક્ષાર્થી/આત્માર્થી જીવને પરિણામ જોવા છતાં પરિણામમાં એકત્વ થઇ પર્યાયબુધ્ધિ થાતી નથી. ધ્યેય પરિણામને જોવાનું નથી, દ્રવ્યમાં ઠારવાનું - દ્રવ્યને અનુભવવાનું છે. તેથી દ્રવ્યદૃષ્ટિ કેમ થાતી નથી તેનાં કારણો - ભૂલ જોવાનાં - તપાસવાનાં - અને ભૂલ સુધારવાનાં તેમજ દોષોથી મુક્ત થવાના પ્રયોજનથી તે પરિણામને - દોષોને - જોવે છે - તપાસે છે. ત્યાં પર્યાયબુધ્ધિ દૃઢ થવાનો સંભવ નથી. દ્રવ્યદૃષ્ટિનાં લક્ષ્ય (હેતુથી) પરિણામને જોઈ શકાય છે.

પરિણામને ન જ જોવાનો આગ્રહ રાખવામાં આવે તો તે દુરાગ્રહ છે - વીધિની ભૂલ છે તેથી ગ્રહિત મિથ્યાત્વને ઉત્પન્ન કરે છે. પરિણામને જોશો નહિ, તો દોષોનું ભાન કેવીરીતે થાશે? દોષોનાં ભાન વિના - વેદનાનું કારણ - ભવભ્રમણનું કારણ જાણ્યા વિના તેના ઉપાય માટે સત્સંગ - શાસ્ત્રવાંચન - શ્રવણ - મનન - ચિંતનાદિની સાર્થકતા કયાં રહી?
દોષોનાં અવલોકન પાછળ નિર્દોષતા ઉત્પન્ન કરવાનું - દ્રવ્યદૃષ્ટિનું ધ્યેય છે તેથી યથાર્થતા છે. તેનો નિષેધ કરતાં પોતાને પગે કુહાડો મારવા સમાન છે.

દ્રવ્યદૃષ્ટિ જ કરવી છે તો તેનો હેતુ શો? અનાદિની ભૂલને ભાંગવાનો જ હોય ને? ભૂલને જાણ્યા વિના - દૃઢ મોક્ષેચ્છા ઉત્પન્ન થયા વિના દ્રવ્યદૃષ્ટિ કરવાનો ભાવ માત્ર રાગ - કોરો વિકલ્પ - કલ્પના જ છે. ઓધસંજ્ઞામાં આવું જ થાય. આવી કલ્પનાએ ચડેલા જીવને દ્રવ્યદૃષ્ટિ કરવી છે છતાં દ્રવ્યદૃષ્ટિ થવાની જ નથી.

જેને સંપૂર્ણ નિર્દોષતાનું - સંપૂર્ણ વીતરાગતાનું લક્ષ હોય એને જ સ્વાનુભવ - દ્રવ્યદૃષ્ટિ થાય.

જેને દોષોનું અવલોકન થાય તેને જ ભૂલ જણાય અને તે જ સંપૂર્ણ નિર્દોષતાનું ધ્યેય બાંધી શકે.

No English rendering yet.