દેહાદિ પરપદાર્થને જોતાં રાગદ્વેષનાં ભાવો થાય છે. અશાંતિ, આકૂળતા, ભય, ખેદ, શોક, હર્ષ, રતિ, અરતિ, આદિ ભાવો થાય છે. નવા કર્મનો બંધ થાય છે. ભવભ્રમણ વધે છે તો હે જીવ તું શા માટે પરપદાર્થને જુએ છે? સ્વદ્રવ્યને કેમ જોતો નથી?
રાગદીભાવોને જોતાં જોતાં, અવલોકનનો અભ્યાસ કરતાં પરપદર્થોની રૂચિ છૂટી ગઈ છતાં વીકારીભાવો થયાં કરે છે જાણે એમનો કદી અંત જ નહીં આવે અને નવીન કર્મો બંધાયા જ કરશે. તેથી ગભરાટ થાય, વેદના, ચિંતા થાય તો હે જીવ! તું રાગદીભાવોને શા માટે જોવે છે? તારા જ્ઞાનસ્વભાવ, સામાન્ય જાણન સ્વભાવ - તારા મૂળ સ્વભાવને કેમ જોતો નથી? તારું સ્વરૂપ વીકારીભાવોથી મેલિન થયું જ નથી. તું તો જ્ઞાનમય છો, રાગમય નથી. તું પવિત્ર, શાંતિનું ધામ, પરમાનંદનું મંદિર છો. તેને જોવાથી શાંતિનો અનુભવ થશે.
પહેલા શ્રીગુરૂએ ચાલતાં પરિણામોમાં રાગાદિ વિભાવભાવોને જોવાની, માત્ર જોવાની આજ્ઞા કરી હતી ત્યાં પરની રૂચિ છોડાવવાનો આશય હતો તેમજ કોઈ પરપદાર્થ કર્મબંધનનું કારણ નથી, દોષ જીવ પોતેજ કરે છે તેમ સમજાવવું હતું. પરંતુ હવે જ્યાં પરની રૂચિ છૂટી, પ્રતિબંધ ઢીલાં પડયાં, રાગાડીભાવો ગમતાં નથી. નિષેધ છતાં છૂટતાં નથી ત્યારે રાગદીભાવોને જોઈને શામાટે દુઃખી થાવું? વિકારની (પરિણામની) દૃષ્ટિ - ચિંતાથી - નિષેધથી - અરૂચિથી વિકાર નહિ ટળે. વિકાર જે જ્ઞાનમાં જણાય છે તે જ્ઞાનસામાન્ય મૂળદ્રવ્યસ્વભાવ ત્રિકાળી જ્ઞાયકની દૃષ્ટિ કરવાથી રાગાદિભાવો ઉત્પન્ન જ નહિ થાય. કારણ કે સ્વભાવ તો પરમ વીતરાગ સાક્ષાત્ જિનસ્વરૂપી સિધ્ધ સ્વભાવી છે તેનો આશ્ચય લેતાં/તેનું ધ્યાન ધરતાં/તેમાં જ ઠરતાં રાગ સ્વયં ટળી જાય છે. મોક્ષ માર્ગ શરૂ થાય છે. માટે હવે રાગાદિ ભાવોનું અવલોકન તજી જ્ઞાયકભાવનું સતત અવલોકન કર.
જેમ રાગાદિભાવોનાં અવલોકનથી પરની રૂચિ છૂટી તેમ જ્ઞાનસામાન્યનાં અવલોકનથી રાગાદિભાવોની તન્મયતા - એકત્વ - આકૂળતા છૂટી જાશે. તને તરત પરમ અતીન્દ્રિય નિજ સ્વભાવનાં બળે ઉત્પન્ન અવિનાશી સુખની પ્રાપ્તિ થશે.
No English rendering yet.