Avlokan Discourses of Shri Devchand bhai Shah The book Search Photographs About
Aphorism 106

પ્રત્યક્ષ સત્પુરૂષના પરીચય અને પોતાની પાત્રતાને કારણે શ્રીગુરૂમાં ઓળખાણથી પરમેશ્વર બુધ્ધિ જન્મે ત્યારે પાત્ર જીવને મોક્ષની પણ ઈચ્છા છૂટી જાય છે. હજી પોતે મુમુક્ષુદશામાં જ વર્તે છે. જ્ઞાનદશા આવી નથી એ પહેલાં જ મોક્ષની ચિંતાથી નિવૃત થયો એ આશ્ચર્યકારી છે. આવો મુમુક્ષુ ધ્યાનને બદલે શ્રીગુરૂનાં ચરણસાનીધ્યને ઈચ્છે છે. પાત્રાંક ૩૩૫માં એને ઉત્તમ મુમુક્ષુ કહ્યો છે.

આથી ફલિત થાય છે કે ભવભ્રમણની અપૂર્વ ચિંતના - વેદના - ઝૂરણાંથી મુમુક્ષુ દશામાં પ્રવેશ કરનાર જીવ નિર્વિકલ્પ દશા કે ભાવભાસન થયાં પહેલાં જ ભવભ્રમણની ચિંતા/મોક્ષની ઇચ્છાથી મુક્ત થઇ શકે છે.

જયારે આવી વસ્તુસ્થિતિ છે ત્યારે જે જીવને જ્ઞાનીપુરૂષ પ્રત્યે અતૂટ વિશ્વાસ હોય તેમ જ પોતે પણ લાંબા સમયથી સત્સંગ કરતો હોય અને છૂટવા માટે કંઈ પણ કરવાની તૈયારીવાળો હોય તેણે અંતર અવલોકન કરી પોતાને પૂછવું કે ભવભ્રમણની ચીંતા હજી કેમ રહે છે? સત્પુરુષ મળ્યા પછી અને સત્સંગ કરવા છતાં મારી આ દશા છે તો પછી મારી ક્યાંક સમજણફેર થઇ રહેલ છે. સત્પુરૂષનાં વચનનો યથાર્થ આશય સમજવામાં ક્યાંક ભૂલ થાય છે. યથાર્થતા હોય તો ભય, ડર, ચિંતા, મુંઝવણ, મોક્ષની ઈચ્છા ન રહેવી જોઈએ. આવું વિચારી જીવે અંતર અવલોકન (જાગૃતિ) વડે ક્ષણે ક્ષણે પોતાનાં દોષોને ગંભીરતાથી તપાસવા ઘટે અને સ્વરૂપપ્રાપ્તિની અપૂર્વ ભાવનાપૂર્વક શ્રીગુરૂનાં શરણે જઈ પોતાનાં દોષોનું અથવા મુંઝવણ વિષે યથાર્થ આશય સમજીને માર્ગદર્શન લેવું ઘટે. સત્પુરૂષના યોગ મળવા છતાં છૂટવાની ઈચ્છા રહયાં કરે, ભવભ્રમણનો દર રહ્યાં કરે તો ગમે તેટલી બાહ્ય ભક્તિ કરે, ગમે તેટલી વૈરાગ્યદશામાં આવે તો પણ તે યથાર્થ ભૂમિકામાં નથી. સાક્ષાત્ કલ્પવૃક્ષ કે ચિંતામણિરત્ન સમાન સત્પુરૂષનો યોગ સાંપડે અને ભાવના છતાં જીવ મૂંઝવણમાં રહે; દરિદ્રીપણું, દીનતા, આકૂળતા, ભય, ચિંતા, જાય નહિ એ કેવીરીતે શક્ય છે?

No English rendering yet.