Avlokan Discourses of Shri Devchand bhai Shah The book Search Photographs About
Aphorism 121

બોધિ દુર્લભ ભાવના

પાંચ લબ્ધિઓ:
૧) ક્ષયોપશમ લબ્ધિ (સંજ્ઞી પંચેન્દ્રીયપણું)
૨) વિશુધ્ધિ લબ્ધિ (આત્મકલ્યાણ કરવાની શુધ્ધ ભાવના)
૩) દેશના લબ્ધિ (પ્રત્યક્ષ સત્પુરૂષની દેશનાનો શ્રવનયોગ અને ઉપદેશનો આશય સમજવાની
શક્તિ)
૪) પ્રયોગ લબ્ધિ (અવલોકન તેમજ ભેદજ્ઞાનનો પ્રયાસ)
૫) કારણ લબ્ધિ (સ્વરૂપનું ભાવભાસન, એકદેશ પ્રત્યક્ષ સ્વસંવેદન)

ઉપરોક્ત લબ્ધિઓ પ્રાપ્ત થવી ઉત્તરોઉત્તર અતિ દુર્લભ છે.

અનંત જીવરાશિમાં સંજ્ઞીપંચેન્દ્રિયની ક્ષમતાવાળા જીવો કેટલા? તે વિચારો?

સંજ્ઞીપંચેન્દ્રિય જીવોમાં આ જગતનાં જીવોને જોતાં આત્મકલ્યાણની શુદ્ધ ભાવનાવાળા જીવો કેટલાં? તે વિચારો.

આત્મકલ્યાણની ભાવનાવાળા હોવા છતાં કેટલાંને સાચાં વીતરાગી દેવ -ગુરૂ - શાસ્ત્ર અને પ્રત્યક્ષ સત્પુરૂષનો પરમ સત્સંગ યોગ સાંપડયો? તે વિચારો.

પ્રત્યક્ષ સત્પુરૂષનો પરમ સત્સંગ યોગ મહાન પુણ્યોદયથી સાંપડ્યો છતાં કેટલાં જીવો એમનાં અપૂર્વ વચનનો આશય સમજી શક્યા? તે વિચારો.

આશય સમજીને કેટલાં જીવો પ્રમાદમાં - સાંસારીક પ્રપંચોમાં રોકાયા વિના પ્રયોગોના રસ્તે ચડયાં? તે વિચારો.

અવલોકન - ચાલતાં પરિણામોમાં પોતાનાં દોષોને માત્ર જોવાનાં સતત પ્રયત્નનાં પ્રયોગમાં આવીને કેટલાં જીવો યથાર્થ મુમુક્ષુદશામાં અર્થાત ભવભ્રમણની ચિંતના-વેદના-ઝૂરણાપૂર્વક ‘પૂર્ણતાનું લક્ષ’ બાંધવાની ક્ષમતામાં આવ્યાં? તે વિચારો.

અવલોકનના પ્રયોગપૂર્વક પૂરણતાનું લક્ષ બાંધી સમાજ પ્રતિબંધ - કુટુંબ પ્રતિબંધ - દેહ પ્રતિબંધ - સંકલ્પ વિકલ્પ પ્રતિબંધથી છૂટીને બોધબીજ યોગ્ય ભૂમિકામાં આવીને પ્રત્યક્ષ સત્પુરૂષ પ્રત્યે પરમાત્માતુલ્ય ભક્તિ અને પરમદૈન્યભાવવાળી યથાર્થ ભૂમિકામાં કેટલાં જીવો આવ્યાં? તે વિચારો.

અવલોકનના સતત પ્રયોગપૂર્વક પ્રગટ સત્પુરૂષ પ્રત્યે પરમાત્મા તુલ્ય નિષ્કામ ભક્તિથી આગળ વધીને કેટલાં જીવો પરાભક્તિ (સત્પુરૂષ અને સ્વયંના આત્મા સાથે ઐક્યભાવ) પૂર્વક ભેદજ્ઞાનનાં પ્રયોગે ચડયાં? તે વિચારો.

સતત ભેદજ્ઞાનનાં અભ્યાસપૂર્વક નિજ ત્રિકાળી ધ્રુવ જ્ઞાન સામાન્યને મુખ્ય અને જ્ઞાન વિશેષ અર્થાત શુભ-અશુભભાવોથી માંડી જગત આખાનાં પ્રતિબિંબોને ગૌણ કરી કેટલાં જીવો સ્વરૂપ નિશ્ચય-ભાવભાસન પૂર્વક પાંચમી કારણ લબ્ધિમાં પ્રવેશ કરી શક્યાં છે? તે વિચારો.

અનંતકાળથી ભવસાગરમાં ડૂબતાં જીવે અનંતવાર ચોથી પ્રયોગલબ્ધિમાં અંત સુધીનો પુરૂષાર્થ કરેલો છે પરંતુ ભાવભાસન પૂર્વક પાંચમી કારણ લબ્ધિમાં એકવાર પણ પ્રવેશ કરેલો નથી. એકવાર પણ જીવને ભાવભાસન થાય તો વધુમાં વધુ છ મહિના સમકિત થવામાં લાગે. અજ્ઞાનદશા ટળીને મોક્ષમાર્ગમાં પ્રવેશ થયાં વિના રહે નહિ. ઉપરોક્ત બોધિદુર્લભ ભાવના વારંવાર ભાવિને બધાં જીવો સમ્યગ્જ્ઞાનને પામો.

No English rendering yet.