ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર;
અંતર્મુખ અવલોકતાં વિલય થતાં નહીં વાર?
કૃપાળુદેવનાં આ અમૂલ્ય વચનામૃતમાં પરંપરાગત અને વિધ ક્રિયાકાંડ કે આત્મભાવના શૂન્ય શાસ્ત્રાભ્યાસથી હટીને માત્ર વિકલ્પોનાં અવલોકનનાં અભ્યાસથી ક્ષણમાત્રમાં સંસાર અર્થાત રાગદ્વેષનાં નાશની વીધિ છુપાયેલી છે.
જયારે જીવ વર્તમાન ક્ષણે મનમાં ઉપજતાં સારા કે નરસા ભાવો વિકલ્પોનું અવલોકન (માત્ર જોવું-જાણવું) શરૂ કરે છે કે તરત તે જ ક્ષણે રાગ કે દ્વેષથી રહિત આત્મિક શાંતિ-સમતાભાવ-નો અનુભવ કરે છે.
જોકે નિર્વિકલ્પ દશામાં સ્વરૂપ પ્રત્યક્ષ થઇ જે અતિન્દ્રિય આનંદ ઉપજી સમ્યગ્દર્શનપૂર્વક શાંતિ થાય એમાં અને અવલોકનથી ઉપજેલ શાંતિમાં ફરક છે છતાં વીતરાગતાની અપેક્ષાથી જાતિભેદ નથી.
અવલોકનથી નિર્વિકલ્પદશા પૂર્વે પ્રાપ્ત થયેલી શાંતિનાં રસાસ્વાદનથી જીવને અનુભવપૂર્વક સમજાય છે કે ભૂખના દુઃખથી બચવા ભોજન લેતાં અથવા ઉદયગત ઉપાધિથી બચવા મંદિરમાં જઈ પૂજા-ભક્તિ-પ્રતિક્રમણ-સામાયિક કરતી વેળા જે શાંતિ (ભ્રમથી માનેલી શાંતિ) નો અનુભવ થયેલ તે શાંતિ અને અવલોકનનાં પ્રયોગથી ઉપજેલી શાંતિમાં ઘણો ફેર છે.
પાપ કે પુણ્યભાવોથી ઉપજતી શાંતિ ખરેખર શાંતિ નથી બ્રહ્મકલ્પના છે. એમાં પરાધીનતા-કૃતિમતા-ક્ષણિકતા છે જયારે અવલોકનથી ઉપજેલી શાંતિમાં ઇન્દ્રિય, મન કે અન્ય પદાર્થોની પરાધીનતા નથી. સહજ સ્વાભાવિક જાણનક્રિયાના બળે આ શાંતિ ઉપજી હોવાથી તેમાં કૃતિમતા નથી; તેમજ જો પુરૂષાર્થ સતત કરવામાં આવે તો અવલોકનની શાંતિ સતત મળતી રહે તેમ છે. અવલોકનથી મળેલ શાંતિમાં જાગૃતિ છે.
જોઈને ચાલતો વ્યક્તિ ખાડામાં પડતો નથી એમ છતાં અવરોધ આવે તો પોતે અટકી જાય છે તેમ સતત જાગૃત જીવ રાગદ્વેષનાં વમળમાં ફસાતો નથી અને અશાંતિથી દૂર જ રહે છે.
આ અવલોકન કરનાર જીવને અનુભવપૂર્વક સંસારના સંયોગાધીન સુખ (!) હવે જાગ્રતિ આવવાથી અનુકૂળતા - દુઃખરૂપ ભાસે છે. આવો પ્રયોગ અંતકરણની શુધ્ધ ભાવનાથી સતત કરવામાં આવે તો જીવને પૂર્ણતાનું લક્ષ બંધાઈ જાય છે કે જે લક્ષ મોક્ષમહેલનાં અનિવાર્ય પાયારૂપ છે.
પૂર્ણતાનાં લક્ષ વગર ભાવના કે મહેનત લેખે લાગતી નથી. અવલોકનનાં પ્રયોગની સફળતાથી બંધાયેલ પૂર્ણતાનાં લક્ષ વિનાની આત્મભાવના માત્ર ભાવુકતા-ભાવાવેશ છે અને પુરૂષાર્થ કેવળ વિકલ્પોની ઘટમાળ અથવા બુધ્ધિની કસરત છે.
આમ સંસારના કલ્પિત સુખો સાથે અવલોકનથી ઉપજેલી શાંતિની સરખામણી જીવને સહજમાત્રમાં મોક્ષમહેલનો પાયો બાંધી આપે છે.
No English rendering yet.