Avlokan Discourses of Shri Devchand bhai Shah The book Search Photographs About
Aphorism 54

સમ્યગ્દર્શનના વાસ્તવિક સ્વરૂપથી અજાણ સમ્યગ્દર્શન વિષે અટપટી કલ્પના કરી લે છે. ૧) ઘણાં માને છે કે સમક્તિ થાય એટલે જાણે એટલું બધું પ્રાપ્ત થઇ ગયું કે પછી કાંઈ કરવાનું રહેતું નથી ૨) ઘણાં માને છે કે શરીરથી ચૈતન્યગોળો સ્પષ્ટપણે ભિન્ન પડી જાય, ભૂખ - તરસ લાગે નહિ - વેદના આવે નહીં, અપૂર્વ ચમત્કાર થાય. જયજયકાર થઇ જાય. અથવા ૩) ઘણાં માને કે સમક્તિ થાય એટલે ચારિત્ર અત્યંત શુભ આચરણવાળું હોય, અશુભભાવ આવે જ નહિ, અશુભ પ્રવૃત્તિ હોય જ નહીં. અથવા ૪) ઘણાં માને કે સમક્તિ થતાં એવી ઉદાસીનતા આવે કે જીવતું મડદું થાય - હાસ્ય - મઝાક - શોક - ભયના પરિણામો થાય જ નહિ. આમ ઘણી બધી કલ્પનાએ ચડેલો જીવ ભ્રમપૂર્વક સમક્તિનો મહિમા કરે છે પરંતુ તે યથાર્થ નથી. સમ્યગ્દર્શન તો દેહ-મન-વાણી-વિભાવભાવો તેમજ એક સમયની પ્રમત-અપ્રમત દશાથી સમુર્ણપણે ભિન્ન પોતાનાં નિજપરમાત્માનાં અસ્તિત્વની શ્રધ્ધા અને એ શ્રધ્ધાને કારણે ઉપજેલી અનંત શાંતિનાં (અકર્તૃત્વભાવ) પરિણમનની શરૂઆત માત્ર છે. શ્રી ગુરૂએ બોધેલ ભેદજ્ઞાનનાં સતત અભ્યાસનાં બળે જયારે પોતાનાં સ્વભાવની મહિમા - પ્રત્યક્ષતા પૂર્વક ઉછળીને વીજળીની જેમ સર્વાંગે આત્મપ્રદેશ (દેહાકાર) અત્યંત આણંદદાયી (વિદ્યુત જેવા) પ્રવાહો પ્રવહે અને તે વખતે દેહથી માંડી સમગ્ર વિશ્વથી જુદો પડી જાય. વિકલ્પોનાં સમૂહ તિરોભૂત થાય - જણાય જ નહિ માત્ર પોતાના ત્રિકાળી અદભુત સ્વભાવ પાર જ ધ્યાન (જ્ઞાન ઉપયોગ) કેન્દ્રિત થયું હોય. તે વખતે દ્રવ્ય અને આનંદમયી પરિણામોનું એક સાથે (જ્ઞાન ઉપયોગ) જ્ઞેયપૂર્વક નિર્વિકલ્પ પ્રમાણજ્ઞાન ઉપજે. કર્તાભાવ હંમેશને માટે છૂટે. જ્ઞાતાભાવનું સતત પરિણમન શરૂ થાય. પોતાની ગમે તેવી દશા સાથેનો સંબંધ શ્રધ્ધાથી છૂટી જાય ત્યારે આવી દશાનું નામ સમ્યગ્દર્શન કહેવાય છે.

સમ્યગ્દર્શન થતાં બાહય સંયોગો બદલાઈ જાય કે ચમત્કાર થઇ ગરીબી મટી અમીરી થાય કે શરીરનો રોગ - વેદના દૂર થાય કે કુરૂપતા મટી સુંદર રૂપ થાય કે પ્રતિકૂળતા મટી સર્વ અનુકૂળતા થાય કે બંધા પ્રકારનું શાસ્ત્રજ્ઞાન થાય કે બધી વિદ્યાઓ હસ્તગત થાય કે કાષાયરહિત થાય કે લોકમાં સન્માનિત થાય - જયજયકાર થઇ જાય અપયશ ન મળે - નિંદા ન થાય કે સંયોગોનું તમામ સુખ મળે, લોકમાં ઉંચુ પદ મળે, નોકરી ન કરવી પડે કે મજૂરી ન કરવી પડે, ધંધામાં નુકશાન થાય જ નહિ અથવા ધંધો ન કરવો પડે અથવા ઈચ્છા પ્રમાણે બધું સફળ થાય એવો ચમત્કાર સર્જાય. એવી કે એવા પ્રકારની ઘણી કલ્પિત માન્યતાઓ ભ્રામક છે. સમ્યગ્દર્શન કાંઈ બાહય ચમત્કાર નથી એ તો ચૈતન્યચમત્કાર છે. એટલું સરળ છે કે સંજ્ઞી તીર્યંચ પણ પ્રાપ્ત કરી શકે. સાતમી નરકની વેદના પણ રોકી શકે નહિ. એ તો શ્રધ્ધાનો પલટો છે. અસ્તિત્વનો અનુભવ છે, જ્ઞાતાભાવ છે.

સમ્યગ્દર્શન આત્માનાં સમજણ અને પુરૂષાર્થથી ઉત્પન્ન થયેલી શ્રધ્ધાની પર્યાય છે. વ્રત -તપ - બાહ્ય નિયમો, પૂજા - ભક્તિ, સત્સંગ, શાસ્ત્રશ્રવણ વાંચન, જપ, જાપ - ચિંતન - મનન - ઘૂંટણ, ઘોલન એવા શુભ વિકલ્પો, મન - વચન - કાયાને આધારે કે ગુરૂનાં આશીર્વાદથી ઉત્પન્ન થયું નથી. પરંતુ સ્વયઁ પુરુષાર્થ કરવાથી, ગુરુનાં માર્ગદર્શનનું નિમિત્ત પામી, ભેદજ્ઞાન કળાનાં અભ્યાસથી સમ્યગ્દર્શન થયું છે. સ્વભાવનાં અપૂર્વ મહિમાપૂર્વક વ્યક્ત જ્ઞાનપરિણમનનાં લક્ષણે જ્ઞાયકસ્વભાવ સામાન્યપણે લક્ષગત થતાં સ્વસંવેદન પૂર્વક સમક્તિ પ્રગટ્યું છે.

સમ્યગ્દર્શન પ્રગટે એટલે દર્શનમોહ જાય. બાહ્ય સંયોગો દેહ-મન-વાણી, વિભાવભાવો પરિણામ માત્રથી મમત્વ-એકત્વ છૂટી જાય. કર્તાપણું છૂટે. ભવિષ્યનાં સેકેંડમાત્રની પૂર્વયોજના આગ્રહપૂર્વકની છૂટે. બાહ્ય ફેરફારોથી કલ્પાતાં લાભ - નુકશાનની ગણત્રી છૂટે - કર્તૃત્વનો અનંત બોજો દૂર થઇ અનંત શાંતિ ઉપજે. વિશ્વથી તરતો અનુભવે. જડ -ચેતન - દેવ - ગુરૂ સુધ્ધાંની આધારબુધ્ધિ છૂટે. ભિન્ન સ્વતંત્ર કાયમી નિજ અસ્તિત્વની હૂંફ આવે.

No English rendering yet.