શ્રીગુરૂ પોતાના અનુભવથી પાત્ર જીવને આત્માનું સ્વરૂપ દર્શાવતાં કહે છે કે આત્મા પૂર્ણપવિત્ર - શુભાશુભ ભાવોથી ભિન્ન-જ્ઞાનમાત્ર છે. આટલામાં જ પાત્ર જીવ સમજી જાય છે. અંતર્મુખ થઇ પરિણામમાં રાગ હોવા છતાં તેને ઉલ્લંઘીને જાણન પરિણમનમાં વ્યક્ત જાણન સ્વભાવનું લક્ષ કરી દ્રવ્ય સામાન્ય - ભગવાન આત્માનું પોતાપણે (સ્વાનુભવ) અસ્તિત્વ ગ્રહણ કરી લે છે - રસ્તે ચડી જાય છે.
જયારે અપાત્ર જીવ સામો પ્રશ્ન કરે છે કે પછી શુભાશુભ ભાવો કોણ કરે છે? શ્રીગુરૂ વિભાવોથી જુદો આત્મા કહે છે તેનો આશય આત્માનો અનુભવ કરી લેવાનો છે તેને બદલે સામો પશ્ન આવે કે રાગ કોણ કરે છે? ત્યારે શ્રીગુરૂ ફાટકથી કહે છે કે રાગ આત્મા કરતો નથી પરંતુ પુદ્દગલ કરે છે. ત્યારે આ સાંભળીને જીવે શુધ્ધાત્માની દૃષ્ટિ કરી સ્વાનુભવ કરવો જોઈએ છતાં અપાત્ર જીવને શ્રીગુરૂનો આશય ન સમજાવાથી ફરી પૂછે છે જડ દીવાલ તો રાગદ્વેષ કરતી નથી તો પછી રાગનો કર્તા પુદ્દગલ કેવી રીતે થઇ શકે? અરેરે! જુઓ તો જીવની અવળચંડાઈ! શ્રીગુરૂનાં વચનોમાં કેન્દ્ર સ્થાને શુધ્ધાત્મા છે જયારે અપાત્રનાં પશનોમાં કેન્દ્રસ્થાને રાગ છે. પછી મેળ ક્યાંથી બેસે? વીતરાગની વાણી પાત્રતા વિના પચે કેવીરીતે? સમજાય કેવી રીતે?
જયારે શ્રીગુરૂએ ઉત્તરમાં રાગ પુદ્દગલ કરે છે એમ ફરમાવ્યું ત્યારે એમનો આશય શુધ્ધ આત્મા રાગથી ભિન્ન - જ્ઞાનમાત્ર છે એમજ કહેવું છે. રાગ પુદગલ કરે છે એમ સમજાવવું નથી. આત્મા રાગથી ભિન્ન છે એમ સમજાવવું છે.
No English rendering yet.