સમ્યગ્દર્શનને સમ્યગ્દર્શન (પર્યાય)ની પણ અપેક્ષા નથી. સમ્યગ્દર્શનની પર્યાય તો પોતાને જ ભૂલી ગઈ છે. એને ધ્રુવ ત્રિકાળી સિવાય બીજૂં કંઈ અનુભવાતું (દેખાતું) નથી. સમ્યજ્ઞાનમાં ત્રિકાળી અને આનંદાદિ ગુણોનું વેદન એમ દ્રવ્ય - પર્યાય બેઉ જણાય છે. પરંતુ સમ્યગ્દર્શનને કોઈની પણ અપેક્ષા નથી.
આવું છે ત્યાં (૧) શુભ - અશુભભાવો કેમ થાય છે? (૨) એવા ભાવો ન થાય તો સારું (૩) એવા ભાવો અનુભવમાં બાધક છે તેથી ન થવા જોઈએ એવી અપેક્ષાથી તો સમ્યગ્દર્શન ક્યાંથી ઉપજે? આવી અપેક્ષામાં તો નજર પરિણામ ઉપર છે. પર્યાયબુધ્ધિ છે. સમ્યગ્દર્શનનાં પરિણામમાં તો પર્યાયબુધ્ધિ નથી પરંતુ દ્રવ્ય દૃષ્ટિ છે.
વળી મૂળ સ્વભાવમાં વિકાર - વિકલ્પ નથી. તેથી વિકાર ન થાય એવી અપેક્ષાને અવકાશ નથી.
પરિણામમાં વિકાર વર્તે છે તે તો બીજે સમયે આપોઆપ નાશ થાય છે તેથી પણ વિકાર ન થાય એવી અપેક્ષાનો કોઈ અર્થ નથી.
વળી ચરિત્રગુણની પર્યાય વિકાર શ્રધ્ધાગુણને સમ્યક્ થવામાં બાધારૂપ બની શકે નહિ કારણ કે બેઉ ગુણોનું પરિણમન સ્વતંત્ર છે. (જો કે સમ્યગ્દર્શન વખતે સહેજે બુધ્ધિપૂર્વકના રાગ - વિકલ્પ હોતાં જ નથી.)
આમ વસ્તુસ્વરૂપ સમજી મુમુક્ષુએ શુભાશુભ પરિણામો કેમ થાય છે? બંધ કેમ થાય? એવી ચિંતા કે સેવવાને બદલે માત્ર વર્તમાન પરિણામોનાં અવલોકનનો પરૂષાર્થ કરવા યોગ્ય છે. કોઈ દોષોને હઠાવવા નથી. માત્ર જોવું જ છે. માત્ર જોવાથી અવલોકન (જ્ઞાન)ની શક્તિ વધશે પુદગલ રસ, મોહ, કષાયરસ આપમેળે જ ધટશે, નાક દબાવવાથી આપોઆપ મોઢું ખુલે એમ.
ટૂંકમાં સમ્યગ્દર્શનને સમ્યગ્દર્શનની જ અપેક્ષા નથી ત્યાં રાગદ્વેષનાં અભાવની અપેક્ષા તો હોય જ ક્યાંથી?
No English rendering yet.